Skip to main content

વોન્ટેડ : પોએટ્સ (એક ફેન્ટસી)


કાવ્ય : 7
વોન્ટેડ : પોએટ્સ
(એક ફેન્ટસી)
*
'શિક્ષક કે નર્સ ગામેગામ હો ન હો,
ગામદીઠ એક કવિ તો હોવો જ જોઈએ.'
હ્યુમન રિસોર્સિસના મિનિસ્ટરે નહીં,
પણ નીરોના ચાણક્યએ આ પ્રપોઝ કર્યું
ઈલેક્શન સ્ટ્રેટેજીસની મીટીંગમાં.
4 1/2 વર્ષે પત્રકારો ખબર લાવ્યા છે :
અગણિત જનસમૂહોની વાચાને આપણે છિનવી લીધી છે.
એમની કોઈ કવિતા ટેક્સ્ટ બુકમાં
કે સરકારી મુશાયરામાં સાંભળવા
મળે છે?
મીટીંગમાં સોપો પડી ગયો!
પણ દેશભરનાં વર્તમાન પત્રોમાં
પહલે પાને નેક્સ્ટ ડે ન્યૂઝ આવ્યા :
'
પોએટ્સ વોન્ટેડ'
એનીબડી એન્ડ એવરીબડી
કેન એપ્લાય.
એજ્યુકેશન નો બાર, એઈજ નો બાર.
કાસ્ટ-ક્રીડ-સેકસ નો બાર.
દેશ ઘાંઘો થઈ ગયો -
વડનગરના ચાવાળાથી
વિસનગરની પેઢીએ બેસતો મોચી--
સૌ બેકાર-અર્ધબેકારોએ ઓનલાઈન અરજી ઠોકી દીધી.
પણ સાલુ કવિ તો કેમનું બનાય?
કવિતા તો સાહિત્ય પરિષદની કે સાહિત્ય અકાદમીની ક્રિયેટિવ વર્કશોપ્સના સાત શુક્રવાર ભરે
એને જ આવડે!
જો... બધા ડાયરા ને કવિસંમેલનમાં કેવી વાહવાહી બટોરે છે?
દેશનું જનજન
આખડીભાટકીને નિરાશ થઈ ગયું.
પંડિતો તો છૂટી પડ્યા :
મા સરસ્વતીના આશિર્વાદ સૌને કેવી રીતે મળે?
ને ઉસ્તાદોએ એ તો કહી દીધુ :
ચાવાળો કે પકોડાવાળો
પોએટ કેવી રીતે બની શકે?
યુવાઓનાં બેકાર ટોળાંઓ અડધી રાતે મારી ફેન્ટસીમાં આવી કરગરવા લાગ્યાં.
સમજાવો ને, સાહેબ :
'
કવિતા એટલે શું?'
જાવ, કવિ મનીષી જાની પાસે જાવ.
એ કહે છે :
કવિતા એટલે કવિતા.
'
કવિ લખે તે કવિતા',
જેમ 'લખે તે લેખક'.
આવી બેઝિક અને બ્રોડ
આવી બોલ્ડ અને બોન્ડલેસ
વ્યાખ્યા આપવાની હિંમત કે સમજ
લિટરેચરના કોઈ પ્રોફેસરમાં નહીં હોય.
અને હશે તો એ જરૂર
કર્મશીલ-કમ-કવિ હોવો જોઈએ!
ક્રિયેટીવિટી હર કોઈમાં હોઈ શકે છે
અને એની અભિવ્યક્તિની પૂર્ણ આઝાદી
હર કોઈને હોવી જોઈએ.
કવિઓ આઝાદ થઈ ગયા,
કવિતા આઝાદ થઈ ગઈ.
આત્મવિલોપન-લિંચિંગ-બળાત્કાર-બેકારી-ગરીબી-શોષણ-દમનના
કરુણ વાસ્તવની અભિવ્યક્તિનું જાણે કે પૂર આવ્યું!
હર ચૌરાહાચકલા, વસ્તીમહોલ્લા
ગામ કે શહેરના નોટિસબોર્ડ પર
પીપલ્સ પોએટ્રી છલકાવા માંડી...
અંગત ઊર્મિઓની અભિવ્યક્તિના માહેર શાયરો અને કવિઓને પણ
લાગ્યું : પવન બદલાયો છે!
પણ અફસોસ,
આ ક્રાન્તિકારી પવન સાથે મારી ફેન્ટસી પણ અચાનક ગાયબ થઈ ગઈ.
*
નીરવ પટેલ
25-12-2018
3.59 AM

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...