Skip to main content

વખાર

કાવ્ય : 17

*
બાપુનાં બહુબધાં નામોમાંનું એક નામ :
હીરો વખારિયો.
એમની વખારમાં અમૂલખ ચર્મપત્રો.
ગામેગામની સીમમાં રખડીરઝળી ભેળાં કરેલાં જેડૂ રતન.
મોજથી મીઠું પીવડાવે,
છેક ખારીનાં કોતરની લાલપીળી આવળનાં ફૂ્લોના પાણીમાં
ઝાઝાં વહાલથી પખાળે
ને એમ પાકાં ગલ થયેલાં ચર્મપત્રો !
અઢારેય વર્ણને
એમાંના એકની જરૂર પડે.
બ્રાહ્મણને વેદ લખવા,
ક્ષત્રિયુને ઢાલ કે મ્યાન બનાવવા,
વાણિયાભાઈને ઘીનાં કૂલ્લુ બનાવવા,
પાટીદારોને કોસનાડીજોતર બનાવવા,
મંદિરના પૂજારીને ઢોલનગારે ચઢાવવા,
પારધીને ગોફણગિલોલ બનાવવા
મોચીને પગરખાં બનાવવા...
બાપુ નામેરી બની ગયેલા,
ગામમાં કોઈની મજાલ છે કે
કોઈ એમનું અપમાન કરે!
પણ બાપુને કાયમ ઓછું આવે,
તે બોર બોર જેવડાં આંસુએ રડી પડે.
'આટલી મિલ્કતેય અમે માણહના તોલે તો નૈંને?'
બાપુની વખાર તો છલકાવા લાગી.
માધુપુરાનો મોચીઓ ખટારા લઈને
આવવા લાગ્યા,
મીરઝાપુરના કુરેશીઓ ટ્રકો લઈને
આવવા લાગ્યા.
બાપુનો માલ તો મદ્રાસ ને કાનપુર
જવા લાગ્યો.
બાપુની લોટી તો રાણીછાપ રૂપિયે ઉભરાવા લાગી.
એના ખણખણાટથી ઈર્ષાળુ પાડોશીઓ જાગી જતા,
ચોરોને બાતમી આપી દેતા.
પણ ચૂલાના રાખભરેલા થાળામાં દાટેલી પશા કુંભારના નિંભાડે પકવેલી
લોટી કદી શોધી શકતા નહીં.
એમને થયું સોનાની ગિનીઓ સાચવવી સહેલી પડશે.
ગિનીઓ વેચતા ગયા
ને ખેતરોના ટૂકડા ખરીદતા ગયા.
હીરો વખારિયો તો હવે
હીરો જમીંદાર કહેવાવા લાગ્યો.
બાપુ અડધી રાતે જાગી જતા,
વખાર ખોલીને આંટો મારી આવતા.
એમને થતું વખારને હવે વિખેરી નાખું.
'કાળા, અમારે તો કાળા અક્ષર કુહાડી બરાબર.
એટલે જે હાથે ચઢ્યું એનાથી જીવતર પૂરું કર્યું.
તું રખે આવી કોઈ વખારનો વખારી બનતો.
મેં શહેરમાં જોયું છે
કાળાકોટ પહેરેલા લોકો
ઓટ કોટ બોલીને પૈસા કમાઈ લે છે!
તું ભણીને ઉજળા ધંધામાં જતો રહેજે.'
ને એક દિ વખાર વિખેરી નાખી બાપુએ.
આજે મારી વખાર જોવા બાપુ તો રહ્યા નથી.
દેશવિદેશનાં માણેકમોતીઓથી ઊભરાય છે મારી વખાર.
હા, એમાં કેબિનવાળા ટોમકાકા સાથે આખી આફ્રિકન લિટરેચર સિરીઝ છે,
જોનાથન સીગલ છે,
પર્લ બકની ઓ-લાન છે,
રાવજીની સારસી છે,
મારો નામેરી પન્નાલાલનો કાળુ છે,
પણે ખૂણે 'બહિષ્કૃત ફૂલો'ય મહેંકે છે.
માર્ક્સ છે, ગાંધી છે, આંબેડકર છે, ચંદુ મહેરિયા છે.
એમાં દુનિયાભરના કવિઓ-લેખકો-ચિંતકો છે.
એકેકથી ચઢિયાતાં રતન,
કોનાં કોનાં નામ ગણાવું!
હું નહીં વિખેરું મારી વખાર.
માહી અને મનસ્વી,
મારો એક માત્ર વારસો તે આ વખાર
જે હું હવેથી તમને ભળાવું છું.
બેટા, એના સહારે આપણને લોકો માણસ ગણતા થયા છે.
અમૂલખ છે આ વખાર.
એને કદી વિખેરી ન નાખતાં.
*
નીરવ પટેલ
4-1-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

પાગલ

કાવ્ય : 56 * આગથી શાતા મળે છે ને પાણીથી દઝાય છે -- હું એમ કહું તો તમે મને પાગલ કહેશો. આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે -- હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો. આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો -- હું એમ કહું તો તમે મને પાગલ માનશો. પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો -- એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો. સૂર્ય પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે -- એમ કહું તો તમે મને પાગલ કહેશો. રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે -- એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો. હું પાગલ છું કારણ કે હું દેખીતી રીતે જ મહા વિરોધાભાસી વાત કરું છું. હું મહા મેધાવી છું કારણ કે હું દૈવીશક્તિઓની અગડંબગડં વાત કરું છું. * નીરવ પટેલ 9-2-2019