Skip to main content

જતોજી ઠાકોર


કાવ્ય : 9

*
ધોળા દહાડે
કોઈનીય બાયડીની છાતીને ચૂંટી ખણી આવે એવો જાલિમ ને જોરાવર.
દારુની વેપારણ,
જાજરમાન શકરીકાકીને
એ રીતે જ એ પરગામના મેળામાંથી ઉપાડી લાવેલો
ને ઘરમાં ઘાલી દીધી હતી.
ભર શિયાળે
જતોજી બંડીય ના પહેરે.
બે શીશા દારુ ચઢાવી,
એની ભેંસ પર સવાર થઈ,
જાય ખારી નદી ભણી.
અમે ભેખડે ઊભા ઊભા ખેલ જોઈએ :
એ ચોમાસાના પહેલા પૂરને રોકવાના પ્રયાસ કરે.
અરવલ્લીના ડુંગરમાંથી ઉતરતાં જ
ગાંડીતૂર થયેલી ખારીના પ્રવાહ આગળ એ સૂઈ જાય,
એમને વળોટીને આગળ ધસતા પ્રવાહની પાછળ દોડે,
આડા સુઈને વળી એને રોકવાનો પ્રયત્ન કરે.
અમને એમ કે જતોજી જમ
જળબંબાકારમાં હોઈયાં થઈ ગયો,
ગામનો ઉતાર સમુદ્રમાં વહી ગયો.
પણ ત્રીજા દિ બપોરે તો એમના ખેતરની
અંધારી ઝૂંપડીમાં દીવો થાય,
સવારે તો એ જ એમનો બે શીશા દારૂ
ને ભેંસ ને નદી!
આમ તો અમારો એ ઘરાક
ને અમે એના વહવાયા,
પણ શેઢાપાડોશીય ખરા.
બીજા કોઈની મજાલ નહીં
અમને વતાવવાની,
પણ એ મનફાવે ત્યારે ગડદાપાટુનો માર મારી જાય બાપુને!
કોઈની જીગર નહીં
અમારા ખેતરમાં ચોરી કરવાની,
હા, એ ચોરીચપાટી કરી લે બિન્ધાસ્ત.
'હોરી આઈ તે ખજૂર ખાવા ના જોઈએ અમારે?
ચપટી રુ વાંણિયાન વેચીન
હાયડા ખાધા એમાં હિરિયા
તારી માફાડુ શેની રાવ નાંખ સ?'
અમે સૌ થથરી જતા.
અમારા ખેતરની છાપરી નીચે ભરાઈ જતા.
પણ આ નાગપાંચમે તો
જાળાંઝાંખરા ભેળા કરી બાપુએ તો ડૂંગર કર્યો ખેતરના ખૂણે.
'
લે, કાળિયા દિવાહળી ચાંપ.'
ભડકો ભાળી જતોજી ભડક્યો હશે
તેે ધોડ્યો અમારી છાપરીએ.
ત્રણ ઢેખાળા વચ્ચે દીવો સળગાવી
બાપુ તો આખા ખેતરમાં ઘોઘાની કૂલેરને
ગુલાલની જેમ વેરવા લાગ્યા.
'મારા પૂંજાબાપા, મારા ઘોઘાબાપા,
મારા ખેતરપાળબાપા,
હારુ થયું તમે અમને આજ દર્શન આલ્યાં.
અમારો તો ઊભો પાક ભેલાડી જાય છે જનાવર ને માંણહ.'
ટોળામાંથી જતોજી છૂમંતર થઈ ગયો.
માગશરની ટાઢથી ન ધ્રૂજતો જતોજી
અઠવાડિયા લગી કાંપતો રહ્યો એની ઝૂંપડીમાં.
બાપુ કે બાપુના સૂના ખેતર ભણી
હવે એ નજરેય નથી માંડતો.
*
નીરવ પટેલ
27-12-2018
(નોંધ : બને કે કોઈને વાર્તા જેવું લાગે, પણ મારે મન આ કવિતા જ છે. શક હોય તો પ્રો મહેન્દ્રસિંહ પરમાર જેવા સ્વરમર્મીઓના મુખે આનું પઠન કરાવી જૂઓ.)

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

પાગલ

કાવ્ય : 56 * આગથી શાતા મળે છે ને પાણીથી દઝાય છે -- હું એમ કહું તો તમે મને પાગલ કહેશો. આ મંતરેલું પાણી તમારા કોઈ પણ શત્રુ પર છાંટશો તો એને લોહીની ઊલટીઓ થશે ને ત્યાં ને ત્યાં જ મરી જશે -- હું એમ કહું તો તમે મને મહાન ભૂવાજી માની લેશો. આ કાળકામાની છબિને પૂર્વના ટોઈલેટમાં અને આ ટોઈલેટ ક્લીનરને ડ્રોઈંગ રૂમમાં ટિંગાડો -- હું એમ કહું તો તમે મને પાગલ માનશો. પૂર્વમાં આવેલા કિચનને તોડીને દક્ષિણમાં અને દક્ષિણમાં આવેલા મંદિરને પૂર્વમાં ફેરવો -- એમ કહું તો તમે મને મહાન વાસ્તુશાસ્ત્રી માનશો. સૂર્ય પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે -- એમ કહું તો તમે મને પાગલ કહેશો. રાહુ અને કેતુમાં તમારો સૂર્ય ફસાયો છે ને તમારી દશા બેઠી છે, સાતેક હજારના પૂજાપાથી સૂર્યને તમારા જીવનમાં પુન: ઝળહળતો કરી શકાય છે -- એમ કહું તો તમે મને મહાન તાંત્રિક, મહાન જ્યોતિષી માનશો. હું પાગલ છું કારણ કે હું દેખીતી રીતે જ મહા વિરોધાભાસી વાત કરું છું. હું મહા મેધાવી છું કારણ કે હું દૈવીશક્તિઓની અગડંબગડં વાત કરું છું. * નીરવ પટેલ 9-2-2019