Skip to main content

ક્વિયરાબાદ

કાવ્ય : 32

*
કલર-રેઈસ-કાસ્ટ-ક્લાસ-સેક્સ-નેશનાલિટી
વગેરે ઓળખોથી એકબીજા સાથે ભેદભાવ કરતા,
એકબીજાનો બહિષ્કાર કરતા, એકબીજાને દુશ્મન માનતા
આ વિશ્વમાં UNO માન્ય
સામાન્ય આઝાદીઓ, સામાન્ય માનવ અધિકારો પણ હજી સુલભ થઈ શક્યા નથી,
ત્યારે એલિટ કેમ્પસના વિશ્વવાયરાની અસરમાં આવેલું એક અમદાવાદી યુવા ગ્રૂપ કહે છે :
માનવ હોવા માત્રને કારણે
અમને અમે નક્કી કરેલી મર્યાદાઓ સાથે
સર્વ પ્રકારની લિમિટલેસ આઝાદીઓ અને અધિકારો જોઈએ!
અને છતાં અમને કલંકિત કે બહિષ્કૃત કરવાને બદલે સમાજે અમારો સહજ સ્વિકાર કરવો જોઈએ.
આ હાઈલી ફિલોસોફીકલ કન્સેપ્ટને
આ જ જીવનમાં સાકાર કરવા તેઓ એક 'ક્વિયરાબાદ' સર્જી રહ્યા છે અમદાવાદમાં.
માનવજીવનને મૂળ અર્થ આપવા માગતી માનવસંબંધની આ ક્રાંતિ
પરંપરાથી પોષાયેલા હર કોઈને
ચિત્રવિચિત્ર લાગે,
અરે ખુદ આ વિચારના પુરસ્કર્તાઓને પણ વિચિત્ર લાગે છે,
ત્યારે તો તેમણે ખુદે નામ રાખ્યું છે : ક્વિયરાબાદ!
અમારી આપસી સંમતી અને જવાબદારીથી અમે કોઈ પણ પ્રકારની ઈન્ટિમસીવાળા માનવસંબંધો વિકસાવીએ તો વ્યાપક સમાજને એ શા માટે 'ક્વિયર' એટલે કે 'વિચિત્ર' લાગે છે?
સમાજ શા માટે અમને તિરસ્કૃત-બહિષ્કૃત કરે છે?
અમને મન ફાવે તેવી યુનિસેક્સ કે સેક્સલેસ વિચિત્ર વેશભૂષા-અંલંકાર પહેરીએ તો સમાજને એ શા માટે 'ક્વિયર' એટલે કે 'વિચિત્ર' લાગે છે?
અમે તો માનવી માત્ર માટે
મોસ્ટ ઈસેન્શિયલ એવી
ઈકવોલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી અને સોશિયલ જસ્ટિસની જ માંગ કરીએ છીએ.
સામ્યવાદી કોમ્યુન,
સ્પિરિચ્યુઅલ કોમ્યુન
પછી આ લિબર્ટેરિયન કોમ્યુન!
માનવ ગરિમા સાથેના માનવ અધિકારો
હર કોમ્યુનિટીનો મૂળભૂત અધિકાર છે,
એનો સ્વિકાર હો,
એનું સ્વાગત હો.
અફસોસ,
'Man is born free, but he is in chains everywhere.'
*
નીરવ પટેલ
19-1-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...

અલવિદા સરસ્વતી

કાવ્ય : 62 * મને પ્રેમ કરવા બદલ તારો આભાર, પ્રિય સરસ્વતી. મેં કઠોર તપ કરી તને પ્રાપ્ત કરી હતી તારા બ્રહ્મર્ષિ પિતા પાસેથી. સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી, અને હવે તું વદાડ પૂરો થતાં વિદાય માંગે છે. સ્વર્ગનાં સુખ છોડી તું એક દલિત કવિની કમ્પેનિયન બની, તેં તારાં શ્વેત વસ્ત્રો ફગાવી દીધાં, તેં સ્મશાની રાખે રજોટાયેલ સાડી ઓઢી લીધી, તું અસ્પ્રુશ્યા બની ગઈ, થેરવાડામાં રહેવા આવી, વાળુ માગવા તેં તારી મધુર વીણાને વેગળી કરી, થેરી...થેરી... કહી સવર્ણો તારું અપમાન કરતા, અરે, વહેલી સવારે એમનું પાયખાનું પખાળતાં એમની વાસનાથી તું માંડ માંડ બચી... પ્રિય સરસ્વતી, અલવિદા. મને પ્રેમ કરવા બદલ તારો આભાર. હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે. પણ તેં મને સાહીઠ બચ્ચાંઓની સોગાત આપી છે, તે સાહીઠ સરસ્વતીના અવતાર છે. એ સાઈઠ કવિતાઓ જે આપણાં લવ-ચિલ્ડ્રન છે તે કાલે તેમની રુદ્રવીણાઓ વગાડશે ને સ્વર્ગ-પ્રુથ્વીની સરહદો છિન્નભિન્ન કરી કાઢશે, પ્રુથ્વી પરની બધી કુરુપતાઓને ભગાડી મૂકશે, તેઓ સાહીઠ રાત્રિઓના વદાડ પર નહીં પણ દલિત કવિઓની સાથે આજીવન સંસાર માંડશે પ્રુથ્વી પર. સરસ્વતી, સા...