Skip to main content

નિત નવી કવિતા

કાવ્ય : 37

*
સવાર પડે છે
ને એક નવી કવિતાની જરૂર પડે છે.
નવા દિવસના પડકારને પહોંચી વળવા આ જગતને કાં પ્રાર્થનાના પોકળ આશ્વાસનની જરુર પડે છે
કાં કવિતાના નક્કર સહારાની.
આજની કવિતા આગાહ કરે છે :
સાચવીને જજો શહેરમાં.
સૂરજ તો ઊગ્યો પણ ગઈ કાલ કરતાં આજે વધારે લોહિયાળ લાગે છે.
બે ટંકનો રોટલો રળવામાં તમે લોહીલુહાણ થઈ જાવ
કે ઈવન તમારી લાશ પણ આવે લિન્ચિંગથી લથપથ થઈ.
લોકો રામપૂરી ચાકૂ
ને સીતાપૂરી છરાઓ લઈ ફરે છે.
કોકના હાથમાં અકબરી તલવાર છે
તો કોકના હાથમાં ત્રિનેત્રી ત્રિશૂળ છે.
તમે જે વિશ્વાસે હાથલારી લઈ નીકળી પડતા હતા રોજેરોજ
તે વિશ્વાસની ગઈ કાલે જ કતલ થઈ ચૂકી છે.
એક બાઈકસવાર બાઉન્સરે
હળવે હાંકનાર હાથલારીવાળાને હલાક કરી દીધો
તે એની લાશ હજી હાંફે છે રાજમાર્ગ પર.
તમને સદાય આશા હતી આપસી ભાઈચારાની,
એ આશાનું મર્ડર થઈ ચૂક્યું છે ગઈ કાલે.
તમને એમ કે મને માર ખાતો જોઈ લોકો મને બચાવશે,
પણ પોતાના જીવને જોખમમાં મૂકીને મદદગાર થતા બંદાઓ
જખમી થઈ તરફડે છે રોડ પર.
એટલે લોકો ગઈ કાલ કરતાં વધારે શાણા થઈ ગયા છે,
અને સલામત અંતરેથી તમારી લાશને ઓળંગી રવાના થઈ જાય છે.
ગઈ કાલના માહોલ કરતાં
આજનો માહોલ ઓર ખતરનાક છે
અને આવતીકાલનો માહોલ એથી પણ વધારે ખતરનાક.
એટલે આજની તાજી કવિતા તમને સાબદા કરે છે :
શહેરીજનો ને ગ્રામીણો,
બે વખતનો રોટલો રળવા નીકળતાં પહેલાં સાચવીને ચાલવાનું રાખજો.
રખે માનતા કે બાજુવાળો તમારો પ્યારો દેશવાસી છે,
એ પોતાના જ દેશવાસીને ભરખી જાય તેવું ધર્મઆભડેલ જાનવર પણ હોઈ શકે છે.
આજની કવિતા તમને બે ઘડી વિચાર કરવા પ્રેરે છે :
મારા ગામનો, મારા શહેરનો, મારા દેશનો
આવો બદતર માહોલ કરનાર
એ પ્રજાદ્રોહી, એ દેશદ્રોહી,
એ ભાઈચારાભંજક
આખરે છે કોણ?
સવાર પડે છે
ને એક નવી કવિતાની જરૂર વર્તાય છે
લોકોને અને કવિને.
*
નીરવ પટેલ
24-1-2019

Comments