Skip to main content

રીવર ફ્રંટ

કાવ્ય : 25

*
નદી કાંઠાનું તમારું ગામ.
તે નદી તમારી જીવનદોરી.
તમે સેંકડો વર્ષોથી
જે નદીના કાંઠે રહેતા હોય,
એને કોઈ ચોર ચોરી જાય તો!
તમે વહેલી સવારે ઊઠીને સૂર્યનમસ્કાર કરી સ્નાન કરતા આ નદીમાં.
તમે નદી કાંઠે ઉતરી એનું કોપરા જેવું જળ પીતા.
બપોરે છોકરડાઓ એમાં ધૂબાકા મારતા.
દેશી જાળ બાંધીને બે ટંકનાં માછલાં પકડતા.
પડખેના ભાઠામાં રિંગણટમેટાંની વાડી કરતા.
કન્યાઓ વ્રતપૂજા કરતી.
વિદાય થયેલા વડીલોનાં ફૂલ પધરાવતા.
એકવાર લંડન બ્રીજ પર નીરો ગયો,
ને થેમ્સની ઝાકઝમાળથી એવો ઘેલો થયો કે એણે ત્યાં જ નક્કી કરી લીધું :
બસ અસ્સલ આવી જ રીવરફ્રન્ટ બનાવું મારા દેશમાં!
એણે તો RCCના તોતિંગ સ્લેબથી આખી નદીના બેઉ કાંઠા નાથી લીધા.
એણે પહેલાં પૂર્વ કાંઠાની નાકાબંધી કરી લીધી.
પછી એણે પશ્ચિમ કાંઠાની નાકાબંધી કરી લીધી.
ન કોઈ ગામનો રહેવાસી નદીમાં પ્રવેશી શકે, ન કોઈ પ્રાણીપારેવું!
નદીકાંઠેના બિચારાં વ્રુક્ષોનો તો ખાતમો જ બોલી ગયો.
હવે ત્યાં વિદેશી મહેમાનો હિંચકે ઝૂલે છે.
પૈસાદાર હોય એ એમ્યુઝમેન્ટ પાર્કમાં મહાલી શકે છે.
હવે ત્યાંથી અમીરો માટે સી-પ્લેઈન ઊડે છે : મહેસાણાથી અમદાવાદ ને અમદાવાદથી ખંભાત.
લાંબી હવાઈપટ્ટી બની ગઈ છે નદી.
જેની નદી હતી એ ગામડિયાઓને ભાગે તો એલિસબ્રિજની રેઈલિંગમાંથી આ જોણાં બચ્યાં છે.
નીરોના એજન્ડામાં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ હતી જ ક્યાં?
એની તો બસ એક જ જિદ છે,
નાગરિકો મરે કે જીવે,
આ દેશને જાપાન અને અમેરિકા બનાવી દેવો છે.
આ દેશને સુપર પાવર બનાવી દેવો છે.
*
નીરવ પટેલ
12-1-2019

Comments

Popular posts from this blog

નિજમંદિર

આજકાલ ભગવાન ભક્તોથી ભારે નારાજ છે : નથી કોઈ દર્શને આવતું, નથી કોઈ મંદિરનો જિર્ણોદ્ધાર કરતું, નથી તો કોઈ મૂર્તિને વાઘા પહેરાવવા ફરકતું. નર્યો નાગડો ભિખારી બનાવી મૂક્યો છે ભગવાનને. ભક્ત ઘરે નથી તો ઓફિસે હશે એમ ધારી દિગંબર દેવ તો એની બેંકમાં પહોંચી ગયા, પણ ત્યાં તો પારસી પોચખાનાવાલાનો ફોટો. બાજુની ફ્રેઇમ તો ભગવાન વિનાની સાવ ખાલીખમ. બ્રાન્ચ મેનેજરની કેબિનમાં ગયા, તો કહે હું તો રુદિયામાં રાખું છું ભગવાનને. ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે, સર્વ જીવોમાં નિવાસ કરે છે. તો પછી મંદિરની શી જરુર, મૂર્તિની શી જરુર? પૂજારીની શી જરૂર? એ તો ભગવાનને ભક્ત સમજી ભાગવત સંભળાવવા લાગ્યો : હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો, શૌચાલય બનાવો. ભગવાનને કેવળ હ્રદયમંદિરમાં સ્થાન આપો. ભગવાન તો નિર્ભ્રાન્ત થઈ ગયા, નિજમંદિરના ખંડેરને સરયૂ કાંઠે છોડીને, સ્વયંભૂ મૂર્તિના ચૂરેચૂરા કરીને, હંમેશને માટે નિરાકાર ને સર્વવ્યાપી થઈ ગયા. ભક્ત વિના મંદિરના ભગવાન કેટલું જીવી શકે? ભગવાન હવે જીર્ણશિર્ણ અપૂજ મંદિરમાં નહીં પણ ભક્તોના હ્રદયમાં બિરાજે છે. સૂની દાનપેટી ને...

મિથક અને કવિતા

કાવ્ય : 63 * ગૂઢ પ્રક્રુતિથી અચંબિત માનવી મિથક રચે છે, તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં આધુનિક કવિ મિથકને બદલે કવિતા રચે છે, કોઈ એને ભલી કહે કે ભૂંડી, એબ્સર્ડ કહે કે સરરિયલ. અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા કે નથી ઘડાતાં મિથક. કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે, અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત. જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે, અને વાઈસ વર્સા. લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે. મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે. આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે, કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને. મિથકાર સરસ્વતીને માતા અને દેવી માને છે ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે. કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે, જે દલિતોની મુક્તિદાત્રી બને છે. મિથક અને કવિતા બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે. મિથક લાચાર બનાવે છે, કવિતા નિ...

સૌનો સાથ, સૌનો વિકાસ

કાવ્ય - 29 * દેશને અવ્વલ નંબરે લઈ જવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર તનતોડ મહેનત કરી રહ્યાં છે : આર્થિક સલાહકારો કહે છે હરહાલતમાં માથાદીઠ આવક વધવી જોઈએ, હરહાલતમાં જીડીપી વધવી જોઈએ. પણ ઉત્પાદન વધારવું બહુ અઘરો રસ્તો છે, વિકલ્પે સહેલો રસ્તો છે દેશમાં માથાં ઘટાડો. રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે. દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે : વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે. વર્ષે હજારો નાગરિકો પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે. વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં મરે છે. સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો કરી રહી છે : વર્ષે હજારો ખેડૂતો ને બેકારો ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ કરી રહ્યા છે. વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે. વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે. વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે. બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ વિકાસની આ ઝડપ વધારવાની છે. બસ વિકાસ માટે જરૂર છે સૌના સાથની. આવતા પાંચ વર્ષોમ...