Skip to main content

આભારી છું.

કાવ્ય : 44

*
મારી દુનિયા સીમિત છે,
હું જોઈજોઈને જાણીજાણીને કેટલું
જોવાજાણવાનો હતો!
પણ પત્રકારો ને કર્મશીલો
મારી સામે આખી દુનિયા મૂકી દે છે.
થોડાંક જ સુખો,
પણ અપરંપાર દુ:ખોથી ભરેલી દુનિયા.
દુનિયાને સુખોથી છલોછલ
કરી શકાય છે
તેવી ધૂનમાં કવિતા લખતો હું
સ્વાર્થી માનવભક્ષી શાસકોથી ભારે વ્યથિત થાઉં છું,
ભારે ક્રોધિત થાઉં છું.
હું એમને જલ્લાદ કહું છું મારી કવિતામાં.
તેઓ ધૂઆંપૂઆં થઈ જાય છે રોષમાં :
પંચતંત્રની વાર્તા જેવું થાય છે,
એક નવટાંક ચકલીની હિંમત કે વાંદરાને સલાહ આપે?
તે કવિને જેલમાં પૂરી દે છે,
યાતનાઓ આપે છે.
કવિ એક દિવસ કંકાલ થઈ જાય છે.
અલબત્ત, પત્રકારો અને કર્મશીલો કવિની વહારે આવે છે.
તે કવિતાને ઘર ઘર પહોંચાડે છે.
કવિતા લોકોના હ્રદયમસ્તિષ્કમાં
ક્રાન્તિની ચિનગારી સળગાવે છે,
કવિતા એક ન્યાયી સુખી દુનિયા સર્જવાનું શમણું આપે છે લોકોને.
પત્રકારો, કર્મશીલો
મારી કવિતાને કન્ટેન્ટ આપવા બદલ
કવિ તમારો બેહદ આભારી છે.
*
નીરવ પટેલ
29-1-2019

Comments